'ઈઝરાયલ કરતાં સિરિયા વધુ સારી રીતે લડી શકે છે...', ટ્રમ્પે ફરી નેતન્યાહૂ પર કાઢી ભડાસ

June 16, 2026

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લેબનોનમાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. જી-7 (G-7) સમિટ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, 'હિઝબુલ્લાહ સામેની લડાઈમાં સિરિયા વધુ સારી ભૂમિકા ભજવી શકે છે. નેતન્યાહૂની રણનીતિના કારણે ઈરાન સાથેની શાંતિ વાર્તા પાટા પરથી ઉતરી શકતી હતી.'

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની રણનીતિ સામે આક્રોશ ઠાલવ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, હિઝબુલ્લાહ સામે લડવામાં ઈઝરાયલ કરતાં સિરિયા વધુ સારું કામ કરી શકે છે. તેમનું માનવું છે કે, લેબનોનમાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહીએ ઈરાન સાથે ચાલી રહેલી શાંતિ વાર્તાને લગભગ પાટા પરથી ઉતારી દીધી હતી. ટ્રમ્પનું આ નિવેદન જી-7 શિખર સંમેલન દરમિયાન કતારના અમીર સાથેની મુલાકાતમાં સામે આવ્યું છે, જેણે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)ના રાજકારણમાં એક નવી ચર્ચા જગાવી દીધી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે 'ઈઝરાયલ હિઝબુલ્લાહ સામે અભિયાન તો ચલાવી રહ્યું છે, પરંતુ તેમાં સામાન્ય લોકોના જીવ પણ જઈ રહ્યા છે. ઈઝરાયલ બધાને માર્યા વિના આ કામ નથી કરી શકતું, તેથી સિરિયાએ આ કામ કરવું જોઈએ.' અમેરિકન રાષ્ટ્રપતિનું આ નિવેદન એટલા માટે પણ ઘણું મહત્વનું માનવામાં આવે છે, કારણ કે સિરિયા લાંબા સમયથી ઈઝરાયલનો કટ્ટર વિરોધી દેશ રહ્યો છે. આવા સંજોગોમાં ટ્રમ્પનું આ પ્રકારનું નિવેદન ઈઝરાયલની રણનીતિ પર તેમની સીધી નારાજગી તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું કે, નેતન્યાહૂ સરકારના આ કડક વલણને કારણે જ ઈરાન સાથે ચાલી રહેલી શાંતિ વાર્તા પ્રભાવિત થઈ હતી. તેમના મતે, આ સૈન્ય અભિયાને એ સમગ્ર પ્રક્રિયાને લગભગ નષ્ટ કરી દીધી હતી, જેના દ્વારા આ ક્ષેત્રમાં તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તેમણે જણાવ્યું કે, રવિવારે બેરૂત પર થયેલા હુમલાને લઈને પણ અમેરિકાએ ઈઝરાયલ સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે તેમને આ હુમલો બિલકુલ પસંદ આવ્યો ન હતો.