સોલાપુરમાં શ્રદ્ધાળુઓને લઈ જતી વાન કૂવામાં ખાબકી, 14ના મોત

June 14, 2026

સોલાપુર : મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલશિરસ વિસ્તારમાં એક મોટી અને દુર્ઘટના સર્જાઈ છે. મ્હાસવાડ-પંઢરપુર માર્ગ પર તાંડુવાડી ગામ નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી એક પિકઅપ ગાડી અચાનક રસ્તા કિનારે આવેલા કૂવામાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં 14 લોકોના ઘટનાસ્થળે જ ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. તમામ મૃતકો પંઢરપુર વિસ્તારના રંજની ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


મળતી માહિતી મુજબ, રંજની ગામના આ શ્રદ્ધાળુઓ મ્હાસવાડ ખાતે સિદ્ધનાથના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને જ્યારે તેઓ પિકઅપ ગાડીમાં પોતાના ગામ પરત ફરી રહ્યા હતા, ત્યારે માલશિરસ તાલુકાના તાંડુવાડી ગામ પાસે આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે સ્થાનિક લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં આ દુર્ઘટના ઘટી હતી. રસ્તાની બિલકુલ કિનારે આવેલો આ કૂવો પાણીથી કાંઠોકાંઠ ભરેલો હતો અને તેની આસપાસ કોઈ સુરક્ષા રેલિંગ પણ નહોતી. જેના કારણે કાબૂ બહાર ગયેલી પિકઅપ ગાડી સીધી કૂવાના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.


ઘટનાની જાણ થતાં જ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં 2 લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. અત્યાર સુધીમાં કૂવામાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે, જેમાં 4 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે. માલશિરસના સ્થાનિક ધારાસભ્ય ઉત્તમ જાનકર પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.