12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને ઃ રાહુલના PM પર પ્રહાર

May 15, 2026

દિલ્હી ઃ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ NEET-UG 2026 પેપર લીક થયા બાદ બે વિદ્યાર્થીઓની કથિત આત્મહત્યા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ભાજપ સરકારના રાજમાં ચોરી કરનારાઓને ઈનામ મળે છે અને પરીક્ષા આપનારા બાળકો જીવ ગુમાવે છે. દેશમાં છેલ્લા 12 વર્ષમાં કેટલા પરીક્ષા કૌભાંડો થયા, કેટલાની ધરપકડ થઈ, તેના આંકડા પણ રાહુલ ગાંધીએ શેર કર્યા છે.
રાહુલ ગાંધીએ લખીમપુર ખીરીના 21 વર્ષના ઋતિક મિશ્રા અને ગોવાના એક વિદ્યાર્થીની કથિત આત્મહત્યાનો ઉલ્લેખ કરીને પૂછ્યું છે કે, વડાપ્રધાનની જવાબદારી જગાડવા માટે હજુ કેટલા ઋતિકે જીવ આપવો પડશે? તેમણે કહ્યું કે, બાળકોના ભવિષ્ય સાથે રમત રમનારાઓએ જવાબ આપવો જ પડશે. કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘લખીમપુર ખીરીના 21 વર્ષના ઋતિક મિશ્રાના છેલ્લા શબ્દો હતા કે, હવે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી નથી. ત્રીજી વખત નીટની પરીક્ષા આપનારો ઋતિક પરીક્ષા રદ થવાના કારણે તૂટી ગયો. ગોવામાં પણ એક નીટ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી. આ બાળકો પરીક્ષાથી હાર્યા નથી, પરંતુ તેમને ભ્રષ્ટ તંત્રએ માર્યા છે. આ આત્મહત્યા નથી, આ તંત્ર દ્વારા હત્યા કરાઈ છે.’
રાહુલ ગાંધીએ પરીક્ષા કૌભાંડોનો ડેટા પણ શેર કર્યો છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, ‘આંકડા જુઓ... 2015થી 2026 સુધીમાં 148 પરીક્ષા કૌભાંડો થયા, 87 પરીક્ષા રદ થઈ અને 9 કરોડ બાળકોના ભવિષ્ય પર અસર થઈ. 148 કૌભાંડોમાં માત્ર એકને જ સજા ફટકારવામાં આવી. CBIએ 17 કેસની અને EDએ 11 કેસની તપાસ કરી, પરંતુ કોઈને સજા ન આપી. NEET, AIPMT અને અન્ય મેડિકલ પરીક્ષાઓમાં 15 કૌભાંડો થયા.’
તેમણે કહ્યું કે, ‘સૌથી શરમજનક વાત એ છે કે, કૌભાંડોમાં જવાબદાર એક પણ અધિકારી કે મંત્રીએ રાજીનામું આપ્યું નથી. આવા લોકોને હટાવવામાં આવે છે, પછી ચુપચાપ મોટા પદ પર બેસાડી દેવામાં આવે છે. ચોરી કરનારાઓને ઈનામ મળે છે અને પરીક્ષા આપનારા બાળકો જીવ ગુમાવે છે.’ તેમણે PM મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી... તમારી જવાબદારી જગાડવા માટે કેટલા ઋતિક જોઈએ?