પહલગામના પીડિતો પર ભાજપ સાંસદનું વિવાદિત નિવેદન, કહ્યું- 'પતિ ગુમાવ્યા તેમની પત્નીઓમાં વીરાંગના જેવો જોશ ન હતો'

May 24, 2025

પહલગામ આતંકવાદી હુમલા મુદ્દે ભાજપના રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગરાએ વિવાદિત નિવેદન આપતાં રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું કે, પહલગામ હુમલાનો ભોગ બનેલી બહેનોમાં વીરાંગના જેવો જુસ્સો ન હતો. તેઓ હાથ જોડીને ઉભા રહ્યા તેથી આતંકવાદીનો શિકાર બન્યા.

હરિયાણાના ભાજપ સાંસદ રામચંદ્ર જાંગરાએ કહ્યું કે, જો પર્યટકોએ આતંકવાદીઓ સામે હાથ જોડ્યા ન હોત, તો આટલા બધા 26 લોકોની હત્યા થઈ ન હોત. જે સમયે લોકોની હત્યા થઈ રહી હતી, તે સમયે તેમની પત્ની, આપણી વીરાંગના બહેનોમાં જુસ્સો જોવા મળ્યો નહીં. વીરાંગના (બહાદૂર)નો ભાવ  ન હતો. તેઓ હાથ જોડીને ઉભા રહ્યાં અને તેમણે પતિ ગુમાવ્યાં. જો તેઓએ હુમલો કરવા આવેલા ત્રણ આતંકવાદીઓને ચારેબાજુથી ઘેરી લીધા હોત તો વધુને વધુ પાંચથી છ લોકો માર્યા જતાં. પણ સાથે સાથે આતંકવાદીઓનો પણ સફાયો થયો હોત.

ભાજપના સાંસદે પહલગામ આતંકી હુમલાનો ભોગ બનેલી મહિલાઓની બહાદુરી પર સવાલો ઉઠાવવાની સાથે આતંકવાદીઓને ઉગ્રવાદી તરીકે સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, આપણા લોકો ત્યાં હાથ જોડવા બદલ માર્યા ગયાં. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ટ્રેનિંગ આપવા માગે છે, જો તે ટ્રેનિંગ પર્યટકોએ લીધી હોત તો આ ત્રણ ઉગ્રવાદીઓ (આતંકવાદીઓ) 26 લોકોની હત્યા કરવામાં સફળ થયા ન હોત. તેમને ચારે બાજુથી ઘેરી લેવાના હતાં. હાથ જોડીને ઉભા રહ્યા તેથી તેઓ માર્યા ગયાં. તે આતંકવાદીઓની અંદર દયાનો ભાવ નથી હોતો, તો તેઓ હાથ જોડનારાઓને કેવી રીતે છોડી દે. 

પહલગામમાં આપણી જે  બહેનોના સિંદૂર ઉઝાડવામાં આવ્યા હતાં. તેમની અંદર વીરાંગનાઓ જેવો જુસ્સો ન હતો. જો તેમણે અહલ્યાબાઈનો ઈતિહાસ વાંચ્યો હોત તો તેમની સામે તેમના પતિને કોઈ આ રીતે ગોળી માળી શક્યું ન હોત. ભલે તે શહીદ થઈ જતી, પરંતુ વીરાંગનાઓની જેમ લડીને. તેમનામાં વીરાંગના જેવો જોશ, જુસ્સો જ ન હતો. આથી તેઓ હાથ જોડીને ઉભા રહ્યા અને ગોળીનો શિકાર બન્યાં.