OPERATION KELLER | જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકી ઠાર

May 13, 2025

3 Terrorist Killed in Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સેનાએ આતંકવાદી સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓ તરફથી ફાયરિંગ કરાયા બાદ સેનાએ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી જેના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન કેલર શરૂ કર્યું અને ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા. જોકે, હજુ સુધી આ આતંકવાદીઓના પહલગામ હુમલાના કનેક્શન વિશે કોઈ જાણકારી સામે નથી આવી. ઓપરેશન હજુ ચાલુ હોવાથી આગામી સમયમાં સેના દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.  અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરના શુકરૂ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.  પ્રાથમિક માહિતી અનુસાર, અથડામણમાં કુલગામ જિલ્લાથી શરૂ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. જોકે, બાદમાં સેનાની જવાબી કાર્યવાહી બાદ અથડામણ શરૂ થઈ હતી, જેમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓના મોત નિપજ્યા છે. સેના તરફથી જણાવવામાં આવ્યું કે, સર્ચ ઓપરેશન હજુ યથાવત છે.  નોંધનીય છે કે, પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદથી સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરમાં શોધખોળ શરૂ કરી છે.