સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું મૃત્યુ, ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાત કર્યો

May 16, 2026

સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરના સંત પ્રિયદર્શન સ્વામીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા હરિભક્તો અને સાધુ સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઊંઘની ગોળીઓ ખાઈ લેતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે હવે ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે.

મળતી માહિતી અનુસાર, પ્રિયદર્શન સ્વામીએ ગત 26 એપ્રિલ  2026ના રોજ કોઈ અકળ કારણોસર મોટી સંખ્યામાં ઊંઘની ગોળીઓ ગટગટાવી લીધી હતી. ઝેરી અસર થવાના કારણે તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સતત 20 દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ, 15મી મે 2026ના રોજ સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ આખા મામલામાં કોઈ કાવતરું કે દબાણ હોવાની શંકા સાથે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ મેદાનમાં આવી છે. સમિતિ દ્વારા ઘટનાસ્થળની સંપૂર્ણ તપાસ, મોબાઈલ કોલ ડિટેઇલ, મેસેજ, સીસીટીવી ફૂટેજ તથા મંદિરના તમામ સંતોના નિવેદનો અને અન્ય ટ્રસ્ટીઓના નિવેદનો લઈ તપાસ કરવા માગ કરી છે. ઘટનાની ગંભીરતાને જોતાં લસકાણા પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને પ્રાથમિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.